Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Sunday, 21 June 2026

Std 10 Social Science Ch.10 Bharat : Krushi Svadhyay Solution || ભારત : કૃષિ ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :


1. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.

=> ભારતમાં ખેતીના મુખ્ય છ પ્રકારો છે. (1) જીવન નિર્વાહ ખેતી (2) સૂકી ખેતી (3) આર્દ્ર ખેતી (4) સ્થળાંતરિત ખેતી (5) બાગાયતી ખેતી (6) સઘન ખેતી

(1) જીવનનિર્વાહ ખેતી : 
– આઝાદી પછી આયોજન પંચની અનેક ખેતવિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. 
–નાના કદનાં ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોષાય તેમ નથી.
– ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. 
–આથી, ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે.

(2) સૂકી ખેતી : 
– વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે. 
– અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. 
– ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.

(3) આર્દ્ર ખેતી : 
– જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર (ભીની) ખેતી કરવામાં આવે છે. 
– વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. 
– જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે.

(4) સ્થળાંતરિત (ઝૂમ) ખેતી : 
– આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 
– અહીં બે-ત્રણ વર્ષ ખેતી કરાય છે. 
– જમીનની ફળદ્રુપતા ઘટતાં આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે. 
– આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે.

(5) બાગાયતી ખેતી : 
– બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. 
– એમાં, રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરાં, દ્રાક્ષ, આંબળાં, લીંબુ, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે.
– આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે.

(6) સઘન ખેતી : 
– જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. 
– આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. 
–  અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે.


2. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.

– ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાનગત સુધારા ગણાય છે.
–વ સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ‘ખેડે તેની જમીન'ના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક્ક આપ્યો છે.
– જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે.
– કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે.
– સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસીડી અને આર્થિક મદદ કરે છે.
–પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
– દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે.
– માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે.
– ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડી છે.
– ખેડૂતો પાસેથી ખેતપેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે.
1. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ - National Agricultural Co-operative Marketing Federation of India (NAFED)
2. ગુજરાત તેલીબિયાં ઉત્પાદન સંઘ - Gujarat Co-operative Oilseeds Growers' Federation (GROFED).
3. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ - National Dairy Development Board (NDDB)


3. ‘વિશ્વ બજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.

=>  ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ છે. 
– વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાંક પરિવર્તનો આવ્યાં છે. 
– ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. 
– ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વનાં વિવિધ ફળો ભારતના બજારમાં મળતાં થયાં છે. 
– વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના “જીનેટીકલી મોડીફાઈડ” બી.ટી. બિયારણો આવ્યાં. એના લીધે ખેતી ખર્ચાળ બની છે. 
– જો કે, કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. 
આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. 
– કેટલાંક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. 
– વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે.
– ભારતે કૃષિક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેક્નોલૉજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
– કૃષિક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવાં પડશે.
– વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ-પેદાશોની માંગ સાથે, આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહ રચના ગોઠવવી જરૂરી છે.


4. ‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો.

=>  ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્ત્વનો ધાન્ય પાક છે.
–  ભારતની એક તૃતીયાંશ ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે.
– તે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે.
–  ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. 
– ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે. 
– સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. 
– 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. 
– ઘઉંની ખેતીમાં યાંત્રીકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે.
– હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે.
–  ઘઉંની ખેતી મુખ્યત્ત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. 
– દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના બે તૃતિયાંશ ભાગ આ રાજ્યોનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેકટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. 
– પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે એટલે તો પંજાબને ‘ઘઉંનો કોઠાર' કહેવામાં આવે છે.
–  મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. 
– ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ‘ભાલિયા ઘઉં' થાય છે. 
– આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં ઘઉં થાય છે. 
–રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. 
– ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપશી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કીટ, વગેરે અનેક વાનગીઓ બને છે. 
– બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્ત્વો વધારે છે. આથી જ ઘઉં અનાજનો રાજા ગણાય છે.


5. ‘ભારતના તેલીબિયાં પાક’ વિશે સવિસ્તર જણાવો.

=> મગફળી, તલ, સોયાબિન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરે તેલીબિયાં ગણાય છે. ભારતીય ભોજનમાં તેલનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. તેલીબિયાંમાંથી ખાદ્યતેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે.

મગફળી (Groundnut):
–મગફળી એ તેલીબિયાં પાકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 
– મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતીમિશ્રિત, પાણી ન ભરાઈ રહે તેવી જમીન, 20º-25° સે. તાપમાન, 50-70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. 
– મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળું પાક તરીકે પણ વવાય છે. 
– ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. 
– મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે. 
– દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. 
– જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળી વવાય છે. 
– ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે શિંગતેલ વિશેષ વપરાય છે.

તલ (Sesamum/Til) : 
– સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે. 
– ઉત્તર ભારતમાં તે વરસાદ પર આધારિત ખરીફ પાક છે. 
– દક્ષિણ ભારતમાં રવી પાક તરીકે અને ક્યારેક જાયદ પાક તરીકે પણ વવાય છે.
– લગભગ બધાં જ રાજ્યોમાં તેનું વાવેતર થાય છે.
– બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે.
– દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્યતેલ તરીકે તે વપરાય છે.
– ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. 
– ગુજરાત સમગ્ર દેશમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં પ્રથમ ક્રમે છે.
– ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. 
– ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.

સરસવ (Mustard) : 
– સરસવ એ રવી પાક છે. ઉત્તર ભારતનો મહત્ત્વનો તેલીબિયાં પાક છે. 
– સરસવનાં બીજ અને તેના તેલને ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. 
– રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ તેનાં મુખ્ય ઉત્પાદક રાજયો છે.

નાળિયેર (Coconut) :
– નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક છે. 
– ભારતમાં કર્ણાટક, કેરલ, તમિલનાડુ, અંદમાન-નિકોબારમાં નાળિયેરના બગીચા આવેલા છે. 
– ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારોમાં પણ નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે. 
– ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે. 
– દક્ષિણ ભારતમાં નાળિયેરના કોપરાના તેલ (કોપરેલ)નો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે. તેમજ નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે.

એરંડા (Castor oil) : 
– એરંડા એટલે કે દિવેલા. તે ખરીફ અને રવી પાક છે. 
– એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64%ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. 
– ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. 
– ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 
– આ ઉપરાંત આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન વગેરે તેનાં ઉત્પાદક રાજ્યો છે.
– ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં તેનો પાક વત્તે ઓછે અંશે લેવામાં આવે છે. 
– આ ઉપરાંત વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર અને મકાઈના તેલનો ખાદ્યતેલ તરીકે વપરાશ વધી રહ્યો છે.


---------------------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો.


1. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે?

– જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે.

 – અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ. 

– પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયાં. 

– ‘સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

– ' પાકના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.

–  સજીવ ખેતી (જૈવિક ખેતી)ની પેદાશો પોષણયુક્ત હોય છે. 

– એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. 

– તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવનશક્તિ આપતાં તત્ત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે.

– તેથી જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે


2. તફાવત આપો : ખરીફ પાક - રવિ પાક

ખરીફ પાક :-
1. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે.
2. તેનો સમય જૂન-જુલાઈ થી ઓક્ટો-નવે સુધીનો હોય છે.
3. ખરીફ પાકને સિંચાઈની ખાસ જરૂર પડતી નથી.
4. જુવાર, બાજરી, ડાંગર, મકાઈ, કપાસ, વગેરે ખરીફ પાકના ઉ.દા. છે.


રવિ પાક :- 
1. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે.
2. તેનો સમય ઓક્ટો-નવે થી માર્ચ-એપ્રિલ સુધીનો હોય છ.
3. રવિ પાકને સિંચાઈની ખાસ જરૂર પડે છે.
4. જવ, ઘઉં, રાયડો, સરસવ અળશી વગેરે રવિ પાકના ઉ.દા. છે.



3. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.

– ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે, તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે.
– તે દેશના લગભગ અડધો અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે.
– કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલુ પેદાશનો લગભગ (GDP) 17 ટકા હિસ્સો ધરાવે છે.
– ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે.
– ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે.
– સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્યસામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચોમાલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે.
– કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે.
– જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી.


4. ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક - સમજાવો.

– ડાંગર એ આપણો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. 
– વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. 
– ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. 
– ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. 
– ડાંગર એ ઉષ્ણ કટિબંધીય પાક છે. 
– વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20° સે. તાપમાન, નદીઓના કાંપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. 
– ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. 
– ડાંગરની ખેતીમાં માનવશ્રમની વધુ જરૂરિયાત રહે છે. 
– પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. 
– પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં બે કે ત્રણ વાર પાક લેવાય છે. 
– ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. 
– ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે.


-------------------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :


1. મકાઈનો ઉપયોગ જણાવો.

=>  મકાઈનો પશુઆહારમાં ઘાણી બનાવવામાં અને ખાદ્યતેલમાં ઉપયોગ થાય છે.

– ડુંગરાળ પ્રદેશના લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

– મકાઈમાં સ્ટાર્ચ, તેલ, પ્રોટીન જેવા ઘટકો હોય છે.


2. કૉફીના પાકની અનુકૂળતાઓ જણાવો.

=>  કોફીના પાકને 15 થી 28 સે જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે.

– કોફીના છોડને સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે.


3. ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને ક્યો પાક લેવાય છે?

=>  ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે.

– અહીં ચોમાસુ પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવાય છે.


4. હરિયાળી ક્રાંતિ એટલે શું?

=>  રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, સુધારેલા બિયારણો, ખેડૂતોનો પુરુષાર્થ, વીજ વિતરણની વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ-ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને “હરિયાળી ક્રાંતિ” કહે છે.


5. કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો.

=> (1) ICAR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચર રિસર્ચ)

(2) DARE (ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલચર રિચર્સ એન્ડ એજ્યુકેશન)


----------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે?

(A) બાગાયતી ખેતી

(B) ઝૂમ ખેતી

(C) સઘન ખેતી

(D) આર્દ્ર ખેતી


Answer: (B)ઝૂમ ખેતી


2. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?

(A) સજીવ ખેતી

(B) મિશ્ર ખેતી

(C) બાગાયતી ખેતી

(D) ટકાઉ ખેતી


Answer: (A) સજીવ ખેતી


3. મગફળીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે?

(A) કેરલ

(B) તમિલનાડુ

(C) મધ્યપ્રદેશ

(D) ગુજરાત


Answer: (D) ગુજરાત


4. ચૉકલેટ શાનામાંથી બને છે?

(A) તલ

(B) કોકો

(C) રબર

(D) ચા


Answer: (B) કોકો


5. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે?

(A) ઈસબગુલ

(B) મેથી

(C) સરસવ

(D) ધાણા


Answer: (A) ઈસબગુલ


6. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે?

(A) અડદ

(B) મગ

(C) ચણા

(D) મઠ


Answer: (C) ચણા


----------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો





-------Thanks for visit------


No comments:

Post a Comment