Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Friday, 2 January 2026

મારો યાદગાર પ્રવાસ ગુજરતી નિબંધ || Maro Yaadgaar Pravas Gujarati Nibandh

 

પ્રવાસ હંમેશા યાદગાર હોય છે. પ્રવાસ દરમ્યાન આપણને નવુનવું જોવા અને જાણવા મળે છે. પ્રવાસની પૂર્વતૈયારી એટલી ગણતરીબંધ અને વ્યવહારુ કરવી કે જેથી શરૂથી અંત સુધી ક્યાંય જરા પણ અગવડ કે મુશ્કેલી પડે નહિ.

વિદ્યાર્થીજીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે.

અમારી શાળામાંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળે છે. પ્રવાસે જઈએ ત્યાં કોઈ વાર જમવાનું સારું ન મળે તો કોઈ વાર રહેવાની સારી સગવડ ન હોય. કોઈ વાર બસ ખોટકાઈ જાય તો કોઈ વાર ટ્રેન મોડી પડે. પણ આવી થોડીઘણી અગવડો જ આપણા પ્રવાસને રોમાંચક બનાવે છે.

એક વખત અમારી શાળા દ્વારા કચ્છ-ભૂજનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસના રોમાંચક અનુભવોને તો હું આજે પણ ભૂલી શકતો નથી. પાંચ શિક્ષકો સાથે અમે પંચાવન વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા કચ્છ-ભૂજના પ્રવાસે નીકળ્યા.

સવારનું ખુશનુમા વાતાવરણ હતું. સાયલા, ચોટીલા, માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી પહોંચ્યા. ત્યાંથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અમે અંજાર પહોંચ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો. અમે ભીંજાતા ભીંજાતા ધર્મશાળાએ પહોંચ્યા.


ENGLISH ESSAYS



બીજે દિવસે સવારે અમને સૂર્યનારાયણનાં દર્શન થયાં. અમે અંજારમાં જેસલ-તોરલની સમાધિ જોઈ. ત્યાર બાદ અમે અંજારના બજારમાંથી સૂડી અને ચપ્પુની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભૂજ તરફ રવાના થયા. ત્યાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો.

કચ્છ-ભૂજમાં સામાન્ય રીતે વરસાદ ઘણો ઓછો પડે છે. તે પણ ચોમાસામાં જ પડે. દિવાળીના દિવસોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો એ બાબત અમારે માટે આશ્ચર્યજનક હતી. અમે વરસતા વરસાદમાં ભૂજના શ્રી સ્વામીનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટાઢથી ધ્રૂજી રહ્યા હતા. મોડી રાત્રે અમે ગરમ ગરમ ખીચડી અને કઢી જમ્યા.

રાત્રે વરસાદ થંભી ગયો હતો. સવારે તૈયાર થઈને અમે ભૂજનાં જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી. ભૂજનું તળાવ પણ પાણીથી છલોછલ થયું હતું. આ કૌતુક જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.


અન્ય ગુજરાતી નિબંધો



બપોરે જમ્યા પછી અમે માંડવી તરફ રવાના થયા. માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા. સદ્ભાગ્યે ત્યાં અમને વરસાદનું વિધ્ન નડ્યું નહીં. વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા. અમે ત્યાં કોટેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં.

વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદનાં મોજાં ઉછળવા લાગ્યાં. એવામાં પોલીસે અમને માહિતી આપી કે, કંડલા તરફથી વાવાઝોડું આવી રહ્યું છે. એટલે તમામ પ્રવાસીઓએ દસ વાગ્યા સુધીમાં અહીંથી નીકળી સલામત સ્થળે જતા રહેવું પડ્યું હતું. અમે જલદી જલદી ત્યાંથી નીકળી ગયા.

ત્યારબાદ અમે કંડલા તરફ જવાને બદલે ભૂજમાં પાછા ફર્યા. અહીં અમે ભોજન લીધું. પછી અમે ભૂજમાંથી વિદાય લીધી. અમે રાતના એક વાગે શાળામાં આવી પહોંચ્યા. ત્યારબાદ જાણ્યું કે વાવાઝોડું બીજી દિશા માં ફંટાઈ ગયું હતું.

આ પ્રવાસમાં અમને ઠીકઠીક તકલીફો પડી. પણ અમને અમારામાં રહેલી હિંમત, સહનશક્તિ અને ભાઈચારાનો અનુભવ પણ થયો. આમ, આ પ્રવાસ મારો એક યાદગાર પ્રવાસ બની રહ્યો.


DOWNLOAD PDF


--------------------------------------------------

Watch it on Youtube



No comments:

Post a Comment