વિચારો વિના પ્રગતિ નહિ,
પુસ્તકો વિના વિચાર નહિ.
મનુષ્યના શરીરમાં પોષણ માટે જેમ ખોરાક જરૂરી છે તેમ માનવીના માનસના પોષણ માટે યોગ્ય વાંચન જરૂરી છે. ગુજરાતનાં પ્રસિધ્ધ કેળવણીકાર મનુભાઈ પંચોળી પુસ્તકનું મહત્વ સમજાવતા કહે છે કે, “પુસ્તકો સાચા અર્થમાં પારસમણિ જેવા છે.” પુસ્તકોનો જીવન ઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્રની જેમ પુસ્તક પણ વ્યક્તિને તેના સુખદુ:ખમાં સાથ આપે છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધે છે. વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. સહનશીલતા, ધીરજ જેવા ગુણો શીખવી જીવન ટકાવી રાખવાનો સહારો તેમજ સાંત્વના આપે છે. અભ્યાસના પુસ્તકોમાંથી મળતું જ્ઞાન મર્યાદિત હોય છે. તે પરીક્ષામાં ગુણ માટે હોય છે પરંતુ જો આપણે આપણાં જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારવી હોય તો પુસ્તક રૂપી નાવમાં વગર ખર્ચે અને વગર તકલીફે સફર કરવી જોઈએ.
"A Good Book is Man's Friend, Philosopher and guide.”
👉મહાન તત્વચિંતક ઉમર ખય્યામે લખ્યું છે કે,
"વેરાન રણમાં, દરિયાના પહાડોમાં, ગુફામાં, જેલની કોટડીમાં માણસને જો એકાદ સારું પુસ્તક મળી જાય તો જાણે નવી દુનિયા મળી જાય છે.”
પુસ્તક એક જાદુઇ દીવા ની ગરજ સારે છે. આજના ચિંતાયુક્ત માનવજીવનમાં સારું અને ઉત્તમ પુસ્તક શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે. સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત બહાદરી પેમ ક્ષમા જેવા ગણોનો વિકાસ થાય છે. વિજ્ઞાનવિષયક પુસ્તકો વાંચવાથી અવનવી શોધો ની રસપ્રદ માહિતી મળે છે. સારાં પુસ્તકો અંધશ્રધ્ધા, વહેમ, કુરિવાજોને દૂર કરવામાં મહત્વનો ભાબ ભજવે છે. મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપે છે, ગાંધીજી કહેતાં કે, “જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે, ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું.”પુસ્તકો અરીસા જેવા હોય છે. તે આપણને આપણાં વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે
“તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ."
સારા પુસ્તકોના વાંચનથી આપણને આપણામાં પાંખો ફૂટી હોય એવો અનુભવ થાય છે. કેટલાક લેખકોના પુસ્તકો વાંચવાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે. ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” માંથી આપણને જીવનમાં વિનમ્રતા, નિખાલસપણા-અહિંસા નો પરિચય થાય છે. જ્ઞાનની ક્ષિતિજો વિકસાવવામાં પુસ્તકોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. આજે તો અનેક સેવાભાવી સંસ્થાઓ વિનામૂલ્યે અથવા સાવ નજીવા દરે જ્ઞાનનો વિશાળ ખજાનો પુસ્તકાલયના રૂપમાં ખુલ્લો મૂકીને જનતાની મહાન સેવ કરી રહી છે.
“સારા પુસ્તકોનો સંગ્રહ એ ખરેખર એક મોટી યુનિવર્સિટી છે.”
એ જ રીતે
“સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવુ હોય છે.”
“કસરત થી જે લાભ શરીરને મળે છે તે જ લાભ પુસ્તકના વાંચનથી મગજને મળે છે.”
વાંચતાં આવડતું હોય છતાં જે વાંચતાં નથી તે નિરક્ષર જેવા જ છે. વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. વાંચનએ જીવનને અર્થમય રીતે જીવવાનો પ્રાણવાયુ છે. પુસ્તકનું વાંચન વ્યક્તિને સારી રીતે જીવતા શીખવાડે છે. Keillor નામના લેખકે પુસ્તક માટે કહ્યું છે કે, "A Book is a Gift you can open again and again"
બાળકોને નાનપણથી જ પુસ્તક વાંચનની આદત પાડવામાં આવે તો બાળકના જ્ઞાન માં વધારો થશે. પંચતંત્રની વાર્તાઓમાં પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સામાજિક નીતિઓ શીખવવામાં આવે છે. પ્રવાસ અંગે ના પુસ્તકોનું વાંચન કરવાથી જાણે ઘરમાં બેઠા બેઠા જ આખા વિશ્વની સફર કરી છે ટેવો આનંદ થાય છે. “પુસ્તકો જ્ઞાનની પરબ છે.” જે સાચું જ છે. રસ્કિનના "Unto the Last” પુસ્તકથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. રામાયણ. મહાભારત, ગીતા, ભાગવત, બાઇબલ વગેરે ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે, આજેય આ ગ્રંથો અનેક લોકો માટે પ્રેરણાદાયી છે. આવા સાહિત્ય મનુષ્યની માનસિક તાણને ઓછું કરે છે અને થાકેલા, હતાશ મનને નવી આશાથી ખિલવી દે છે. લોકમાન્ય તિલકે કહયું છે કે, “હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.”
આજના મોબાઈલ અને ટેલિવિજન યુગમાં વાંચન પ્રત્યેની લોકોની વૃત્તિ ઘટી રહી છે. લોકોનો મોટા ભાગનો સમય આમાં જ પસાર થાય છે. પુસ્તકાલયોમાં વાચકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરાય છે. તેમનું જીવન બરબાદ થઈ જાય છે. આમ છતાં, આજે પણ સારા પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. દર વર્ષે ૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે જે બતાવે છે કે વાંચન કેટલું જરૂરી છે. “સફળ જીવન માત્ર, સારા પુસ્તકોના સંગને પાત્ર".
મોહમ્મદ માંકડ લખે છે કે, “માણસને જો પુસ્તકો સાથે મહોબ્બત બંધાઈ જાય તો તે પુસ્તક સાથે હસે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે, પોતાની જાત સાથે વાતો પણ કરે છે અને પોતાની જાતને પુસ્તક પાસે ખુલ્લી પણ કરે છે.” અંતમાં એટલુંજ કહેવું પડે કે ફક્ત આજને માટે જ નહિ, હંમેશના માટે આપણાં સૌથી સાચા અને સારા મિત્રો હોય તો તે પુસ્તકો જ છે.
"There is no friend as loyal as a book."
ખાસ નોંધ
અહી નિબંધમાં અનેક પંકિતોઓ નો ઉપયોગ કરવામાં આવેલ છે પરંતુ પરીક્ષામાં તમારી અનુકૂળતા મુજબ પંક્તિઓ લખવી.
----------------------------------------------------------
WATCH IT ON YOUTUBE

No comments:
Post a Comment